
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની શ્રી ચક્રાવા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી જીજ્ઞાબહેન કૃષ્ણકાંતભાઈ ઠકરારના સન્માન મુકુટ માં વધુ એક સન્માન પીછ નો ઉમેરો થયો છે.
તાજેતરમાં જ અમદાવાદના પારિજાત ગૃપ તરફથી ગુજરાતના છેવાડાના ખૂણાઓની શાળાઓમાં ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને શોધીને તેમનું આદર્શ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાંથી આવા વિશિષ્ટ કામગીરી કરનારા 51 શિક્ષકોને આ સન્માન અમદાવાદ મુકામે તારીખ 23/ 2/2025ના રોજ આપવામાં આવ્યું. જેમાં જીજ્ઞાબહેન ઠકરારની પસંદગી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જીજ્ઞાબહેનને આદર્શ શિક્ષક એવોર્ડ પહેલા પણ મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ,મહિલા ગૌરવ એવોર્ડ, નારી રત્ન એવોર્ડ, નારી તું નારાયણી એવોર્ડ, ભારત માતા અભિનંદન એવોર્ડ, પૂજ્ય મોટા એવોર્ડ, ગુજરાત સરકાર તરફથી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તેમજ રાજ્યપાલ પારિતોષિક સહિત 20 જેટલા એવોર્ડ-સન્માન મળી ચૂક્યા છે. તેઓ 28 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ભેખ ધારણ કરીને અવિરત ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે. તેઓ રાજ્ય કક્ષાથી માંડીને તાલુકા અને ક્લસ્ટર કક્ષા સુધી માસ્ટર ટ્રેનર તરીકે ઉમદા અને રસપ્રદ ટ્રેનિંગ આપે છે.પાઠ્યપુસ્તક મંડળ સાથે મળીને ગુજરાત સરકારની શાળાઓમાં ચાલતા અંગ્રેજી પાઠ્યપુસ્તક માટે લેખન કાર્ય કરેલ છે. ઉપરાંત મોડ્યુલ લેખન, શિક્ષણ વિષયક આર્ટીકલ લેખન, વગેરે પણ કરતા રહે છે. તેમણે અંગ્રેજી શિક્ષણ અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે નવતર પ્રયોગો પણ હાથ ધરેલા છે. તેમના નવતર પ્રયોગો અન્ય શાળાઓમાં પણ અપનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ અંગ્રેજી વિષયના SRG-સ્ટેટ રિસોર્સ ગ્રુપમાં પણ કાર્યરત રહીને ગાંધીનગર જીસીઈઆરટી માં પણ કાર્યરત છે. તેમણે ગાંધીનગર બાયસેગ સ્ટુડિયો મારફત ગુજરાત ભરના બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ કરેલ છે.
તેઓ મોકો મળે ત્યારે સમાજસેવાનું કે મહિલા ઉત્થાનનું કાર્ય કરવાનું પણ ચૂકતા નથી. તેમના મહિલા ઉત્કર્ષના કાર્યક્રમોનું પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી પણ થાય છે. તેઓ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની ટીમ સાથે મળીને અંધશ્રદ્ધા નિવારણ માટે સંયુક્ત કુટુંબ ના લાભ વગેરે જેવા સામાજિક સંદેશા માટેના શેરી નાટકો માં મુખ્ય ભૂમિકા ભજવતા રહે છે. તેઓ પોતાની અભિનય ક્ષમતાથી પણ સમાજસેવા કરતા રહે છે.તેઓ બાળકોમાં શિક્ષણ સાથે તેમનામાં ઉત્તમ માનવીય મૂલ્યોનું ઘડતર પણ કરતા રહે છે.તેમનું મૂલ્યલક્ષી શિક્ષણ કાર્ય નિરંતર ચાલુ હોય છે.તેમના આ કાર્યની સુવાસ ને લીધે મહીસાગર જિલ્લામાં તે સમયના DPEO અને હાલના નાયબ નિયામક એવા શ્રી ડો.અવની બા મોરીએ મૂલ્યલક્ષી શિક્ષણ માટેના પુસ્તક માટે જીજ્ઞાબહેનની પસંદગી કરેલી. જીજ્ઞાબેન આ પુસ્તકના લેખનકાર્યથી સમીક્ષા કાર્ય સુધી તેમાં પણ જોડાયેલ હતા.
તેઓ હંમેશા કહે છે કે મને જોઈને મારા વિદ્યાર્થીઓ ખુશ થાય છે અને લાગણીથી મારી તરફ દોડે છે એ મારો સૌથી મોટો એવોર્ડ છે. જીજ્ઞાબેન જે પણ શાળામાં કાર્ય કરતા હોય છે ત્યાં એટલો બધો પ્રેમ અને લાગણી વહાવે છે કે બાળકો તેમની સાથે ખૂબ આત્મીય થઈ જાય છે. દૂરથી તેમને આવતા જોઈને પણ ખૂબ રાજીના રેડ થઈ જાય છે.અને તેમની તરફ દોડીને સામા તેડવા જાય છે. જીજ્ઞાબેન તેમને મળતા દરેક એવોર્ડ બદલ ઈશ્વરનો,પોતાના માતા- પિતાનો અને વિદ્યાર્થીઓનો આભાર માને છે.
