આયોજકોને સમારંભમાં આવેલા લોકોનું ટેસ્ટીંગ કરાવવું હોય તો પાલિકા એ માટે વ્યવસ્થા કરી આપશે
હાલમાં શહેરમાં કોરોના વાયરસના કેસનો આંકડો 300 નજીક પહોંચી ગયો છે. જોકે, તેમ છતાં હજુ માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સને લઇ કેટલાક લોકોમાં ગંભીરતા જોવા મળી રહી નથી. બીજી તરફ લગ્નસરાની સિઝન શરૂ થવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા રહેલી છે.લગ્ન સમારંભ સ્થળોએ આયોજકોને સમારંભમાં આવેલા લોકોનું ટેસ્ટીંગ કરાવવું હોય તો પાલિકા એ માટે વ્યવસ્થા કરી આપશે. પાલિકાએ ધન્વંતરી આરોગ્ય રથની સેવાનો લાભ આપવાની તૈયારી બતાવી છે. જેથી લગ્ન સમારોહમાં પણ કોરોનાનું ટેસ્ટીંગ કરાવી શકાશે.
કોવિડ 19ના નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે
દિવાળી બાદ સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે હવે લગ્નની સિઝન શરૂ થઈ છે. આવી સ્થિતિમાં લગ્ન સમારોહ સ્થળોએ ફરજિયાત માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે નહિંતર કોવિડ 19ના નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે.
અગાઉ લગ્નમાં 5 હજારનો દંડ કરાયો હતો
કોરોના મહામારીની બીજી લહેર ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે, કેસો વધી રહ્યા છે એવામાં સરકાર અને સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે. ત્યારે સુરતમાં 4 દિવસ પહેલા નાના વરાછા વિસ્તારમાં આવેલી ગંગાજમના સોસાયટીની વાડીમાં હિરલ દુલાભાઈ જીવાણી નામની કન્યાના લગ્નનો પ્રસંગ હતો. તે જ સમયે સુરત મહાનગર પાલિકાની ટીમ ચેકીંગ માટે ત્રાટકી હતી. જ્યાં સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન અને માસ્ક વગર બેઠેલી મહિલાઓ જોવા મળતા કન્યાના ભાઈ રાહુલ દુલાભાઈ જીવાણીને મનપાની ટીમે રૂ.5000નો દંડ ફટકાર્યો હતો.
