દર્દીઓની વહારે દોડી આવેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ દર્દીઓના સગાઓ સાથે કલેક્ટરને રજુઆત કરી પણ કલેક્ટરે ઉપરથી ઓછો જથ્થો આવતો હોય હોમ આઈસોલેશનના દર્દીઓને રેમડીસીવર નહિ આપવાનો અડગ નિર્ણય જાહેર કર્યો
મોરબી : મોરબીમાં આજે રેમડીસીવર માટે દર્દીઓના સગાના હોબળા બાદ દર્દીઓને યોગ્ય રીતે રેમડીસીવર મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ મેદાને આવ્યા હતા અને તેઓએ દર્દીઓના સગાઓને સાથે રાખીને કલેક્ટર કચેરીએ દોડી જઈને કલેક્ટર સાથે રજુઆત કરી હતી. પણ કલેક્ટરે ઉપરથી ઓછો જથ્થો આવતો હોય હોમ આઈસોલેશનના દર્દીઓને રેમડીસીવર નહિ આપવાનો અડગ નિર્ણય જાહેર કર્યો હતો. સાથે સાથે ટોકન આપેલા દર્દીઓને રેમડીસીવર મળી જાય તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.

મોરબીમાં સોમવારથી વીસી હાઈસ્કૂલમાં દર્દીઓને રેમડીસીવર ઇન્જેક્શનો આપવાનું નક્કી કર્યા બાદ ગઈકાલે અમુક જ જથ્થો લોકોને આપીને મોટાભાગનો જથ્થો હોસ્પિટલોને ફાળવી દેવાતા અનેક દર્દીઓ નિરાશ થઈને ખાલી હાથે પરત ફર્યા હતા. ત્યારે આજે રેમડીસીવર મળશે એ આશાએ મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી વી.સી. હાઈસ્કૂલમાં ઉમટી પડ્યા હતા. ત્યારે અચાનક જ તંત્રએ ગઇરાત્રેથી રેમડીસીવરનું વિતરણ બંધ કરી દેવાનો નિર્ણય જાહેર કરી દેતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. આથી, વહેલી સવારથી વી.સી. હાઈસ્કૂલમાં લાઈનો લગાવીને ઉભેલા લોકોને રેમડીસીવરનું વિતરણ ન થવાનું હોવાની ખબર પડતાં રોષે ભરાયેલા લોકો ત્યાંથી કલેકટરના બંગલા પાસે દોડી જઈને ધરણા કર્યા હતા. જેના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો.
પોલીસે ઘરણા પર બેઠેલા લોકોને સમજાવીને વી.સી. હાઈસ્કૂલમાં મોકલ્યા હતા ત્યાં પણ લોકોએ હંગામો મચાવ્યો હતો. આથી, એ અને બી ડિવિઝન પીઆઇ સહીતનો પોલીસ સ્ટાફ અને ડીવાયએસપી રાધીકા ભારાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ દોડી ગયા હતા. જેમાં રેમડીસીવરના કાળા બજાર કરતા લેભાગુઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી અને દર્દીઓને રેમડીસીવર મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ દર્દીઓના સગાઓ કલેકટર કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા. અને કલેક્ટર સમક્ષ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ દર્દીઓને યોગ્ય રીતે રેમડીસીવર મળે તેવી વ્યવસ્થા કરવાની રજુઆત કરી હતી. આથી, કલેક્ટર જે.બી.પટેલે જણાવ્યું હતું કે, શરૂઆત રેમડીસીવરનો 1000 ઉપરનો સ્ટોક આવતો હતો. હવે છેલ્લા બે દિવસથી 500 થી 600 જેટલો જ સ્ટોક આવે છે એની સામે ડિમાન્ડ 2 હજાર જેટલી રહે છે. અગાઉ હોસ્પિટલોમા ડિમાન્ડ થોડી ઓછી હતી એટલે હોમ આઈસોલેશનના દર્દીઓને પણ આ ઈજેક્સનો આપતા હતા. પણ હવે સ્ટોક ખૂબ જ ઓછો આવતો હોવાથી સરકાર સાથે વાટાઘાટ કરીને હાલ તમામ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને પ્રાથમિકતા આપવાનું નક્કી કરાયું છે. એટલે હાલ હોસ્પિટલમાં જ રેમડીસીવરનું વિતરણ કરાશે અને હોમ આઈશોલેશનના દર્દીઓને હાલ પૂરતા રેમડીસીવર નહિ અપાઈ, પૂરતો સ્ટોક આવશે ત્યારે તેમને પણ વિતરણ કરાશે.
