સમગ્ર વિશ્ર્વમાં કાંકરેજી ગાયથી અતિ પ્રખ્યાત એવા કાંકરેજ તાલુકાના હ્રદય સમા થરા નગરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી અનેરી સુવાસ ફેલાવતું જલારામ મંદિર અનેક યાત્રાળુઓથી સતત ધમધમતું રહે છે.અન્નક્ષેત્ર, ટીફીન સેવા,પક્ષીઘર,આકર્ષક બગીચો,દર ગુરૂવાર પૂજ્ય જલારામ બાપાનાં ભજન,પદયાત્રીઓ માટે કેમ્પ, સુવાવડી બહેનો માટે પોષક આહાર સુવિધા જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી ધાર્મિક શ્રધ્ધાળુઓનો પણ ખૂબ જ સારો આર્થિક સહકાર મળે છે.
આગામી દિવસોમાં અંદાજે બે વીઘા જગ્યામાં જલારામ સત્સંગ હોલ,ભોજનાલય, આરોગ્યધામ, અન્નક્ષેત્ર, બાળ ક્રીડાંગણ સહિત ત્રણ માળનું લીફટ સાથેનું જલારામ સેવા ભવન ચાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે.આ અનુસંધાને રૂપિયા સવા કરોડના મુખ્ય દાતાનું નામકરણ કરાશે.આ માટે જલારામ મંદિર થરાના સેવકો સર્વ અચરતલાલ ઠકકર, અરવિંદભાઈ લાટીવાળા,વિજયભાઈ ટેસ્ટી,રમેશભાઈ કાઠી આશા,વિનોદભાઈ ગોકલાણી,કનુભાઈ બી.આચાર્ય,તરૂણભાઈ વી.ઠકકર, રાજુભાઈ લાટીવાળા,નિરંજનભાઈ ઠકકર, ચંપકલાલ ઠકકર, ચમનલાલ ઠકકર,ભગવાનભાઈ બંધુ સહિત સૌ કાર્યરત છે.થરામાં છેલ્લા આઠ વર્ષથી નિયમિત રીતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે થાય છે અને તેના લીધે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થરા જલારામ મંદિરની એક આગવી ઈમેજ બની છે.
