મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ, અર્જુન સેના સહિતના નાના મોટા તમામ ધાર્મિક સંગઠનો સાથે મળીને આવતીકાલે શુક્રવારે નંદલાલાના જન્મોત્સવને ઉમંગ ઉલ્લાસભેર મનાવવા માટે બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં સવારે 8 વાગ્યા સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયના તેમજ તેમની જીવનયાત્રા દરમિયાનના સંદેશ આપતા સાતથી આઠ ભવ્ય આકર્ષક ફ્લોટ મોટી સંખ્યામાં વાહનોમાં રાખી તેમજ રાધા કૃષ્ણ, કાન-ગોપી, અર્જુન-કૃષ્ણ સહિતના ગેટઅપ અને હજારો લોકો સાથે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે.
[શોભાયાત્રાના પ્રસ્થાન દરમિયાન જ જડેશ્વર મંદિર ખાતે પ્રથમ મટકી ફોડ કરાશે.શોભાયાત્રા સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, જુના બસ સ્ટેન્ડ, નવા ડેલા રોડ સહિતના શહેરના તમામ રાજમાર્ગો ઉપર ફરીને લગભગ 18 સ્થળે વિવિધ ગ્રુપ દ્વારા આયોજિત મટકી ફોડના આયોજન કરાશે. જો કે શહેરના નાના મોટા વિસ્તારમાંથી નિકળનારી શોભાયાત્રા આ મુખ્ય શોભાયાત્રા ભળી જશે અને શોભાયાત્રામાં ડીજેના તાલ સાથે નાચતા ગાતા તેમજ બજરંગ દળ, મહાકાલ ગ્રુપ, અર્જુન સેનાના યુવાનો લાઠી દાવ સહિતના અદભુત કરતબો રજૂ કરશે. કાના આગમનને વધાવવા માટે શહેરમાં તમામ સ્થળે ધજાકા પતાકા અને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે વાવડી રોડ સહિત ઘણા બધા વિસ્તારમાં મટકી ફોડ કરીને કાના આગમનને હરખભેર વધાવશે. તેમજ ઠેરઠેર મંદિરોમાં આરતી અને પંજરીનો પ્રસાદ વહેંચીને ભગવાનનો જન્મોત્સવ મનાવાશે.