
જીવનદર્શન મંગળવાર તારીખ 21-5-2024
“સેવા પરમો ધર્મ “ને જીવનમંત્ર બનાવી પ્રેરણાદાયી જીંદગી જીવતા આખજ(મહેસાણા)ના સોમાભાઈ જેઠીદાસ પટેલ
આ પૃથ્વી ઉપર જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ એટલા બધા સારા માણસોને મોકલ્યા છે કે જેના લીધે અનેક સત્કાર્યો ચાલ્યા જ કરે.પિતા જેઠીદાસ જોઈતમદાસ પટેલ અને માતા રૂખીબેનના પરિવારમાં તારીખ 1-10-1958 રોજ આખજ (તાલુકો તેમજ જિલ્લો મહેસાણા) ખાતે જન્મેલા સોમાભાઈ પટેલ એક મળવા જેવા,માણવા જેવા અને જાણવા જેવા પૂન્યશાળી,ભાગ્યશાળી અને નસીબદાર મહામાનવ છે.માત્ર ધોરણ સાત સુધી જ ભણેલા સોમાભાઈનું સેવાનું ગણતર ખૂબ જ ઉંચું અને ઉદાર છે.1972 માં કલોલ તાલુકાના સઈજ ગામનાં મેનાબેન પટેલ સાથે પરણ્યા બાદ તેમના જીવનમાં વિશેષ પ્રગતિ થઈ છે.જીવનના પ્રારંભિક તબકકે ભાઈઓ સાથે સંયુક્ત રીતે ખેતી કરી.પારિવારિક રીતે પ્રેમથી ભાઈઓ જુદા પડયા. ત્યારબાદ સોમાભાઈએ ભેંસોનો તબેલો કર્યો.ટ્રેકટર ખેડાણનો વ્યવસાય કર્યો.ફેમીલી માટે કમાન્ડર જીપ લાવ્યા.1992 માં તેઓ અમેરિકા ગયા અને ત્યાં ખૂબ જ મહેનત કરી ઘણા પૈસા કમાયા.સવા લાખ ડોલર કમાયા પણ ગ્રીનકાર્ડ મેળવવા આ બધી રકમ ખર્ચાઈ ગઈ. 2005 માં ગ્રીનકાર્ડ મળ્યું.ભારતમાં આવી 2006 માં આખજ ખાતે શ્રી રામચંદ્રજી ભગવાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય દાતા બન્યા.આ મહોત્સવમાં ત્રણ દિવસ દરમિયાન અંદાજે 110000(એક લાખ દસ હજાર) ભાવિકોએ ભોજન પ્રસાદ લીધો હતો.આ મહોત્સવમાં તેમનું સમગ્ર પરિવાર સાથે જોડાયું હતું તેમની ત્રણેય દીકરીઓ સરલાબેન(મહેસાણા),સંગીતાબેન (અમદાવાદ)આશાબેન (અમેરિકા) તેમજ દીકરો અમીતભાઈ (આખજ-મહેસાણા-અમદાવાદ) એમ ચારેય ભાઈબહેન તેમના જીવનમાં ખૂબ જ સારી રીતે સેટ થયેલ છે.અમીતભાઈને સમગ્ર ઉતર ગુજરાતનું ટાઈલ્સનું મોટું કામકાજ છે.અમદાવાદમાં કાપડનો મોટો શોરૂમ છે.સોનાની બે રીટેલ તેમજ એક હોલસેલ દુકાનમાં ભાગીદારી છે.કલોલથી મહેસાણા સુધીના વિસ્તારમાં જમીન લેવેચનું કામકાજ છે.
આખજ ખાતે શ્રી રામજી મંદિરનો પાંચ વર્ષે મોટો પાટોત્સવ ઉજવાયો તેમાં સોમાભાઈ તેમજ તેમના ભાઈઓ અમરતભાઈ,પ્રભુદાસ વિગેરેએ મળી આજુબાજુનાં દસ ગામોને જમાડયાં.એ વખતે 65 લાખ જેવો ખર્ચ સંયુક્ત રીતે ત્રણેય ભાઈઓએ કર્યો હતો.તેમની બે બહેનો જોઈતીબેન (મહેસાણા) તેમજ ગોમતીબેન (અમદાવાદ) પણ તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.રૂની (ભાભર) ના ભગવાનભાઈ ચૌધરીના કારણે જ સોમાભાઈ ટેંટોડા ગૌશાળાના સંપર્કમાં આવ્યા.2015 માં ભયાનક પૂર વખતે ટેંટોડા ગૌશાળામાં તેમણે પ્રેરણાદાયી સેવા કરી હતી.400 બોરી સાગરદાણ સ્વખર્ચે મોકલાવ્યું હતું 2017 માં ટેંટોડા ગૌશાળા ખાતે રૂબરૂ આવ્યા અને સંપૂર્ણ નિરિક્ષણ કર્યું.2017 થી તેઓ લગાતાર ટેટોડા ગૌશાળા ખાતે આવે છે અને સતત સંપર્કમાં રહે છે.અવારનવાર તેઓ સાગરદાણ,ઘાસચારો તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ મોકલતા જ રહે છે.તેઓ દાતાઓના સતત સંપર્કમાં રહી દર વર્ષે 10 થી 15 ગાડી ઘાસચારો ટેટોડા ગૌશાળામાં વિનામૂલ્યે સેવા હેતુ મોકલે છે.સોમાભાઈએ સ્વખર્ચે 1000(એક હજાર) જેટલાં વૃક્ષો ટેંટોડા ગૌશાળામાં વાવી તેમનો પર્યાવરણ પ્રેમનો મહા સંકલ્પ પૂર્ણ કરેલ છે.આ વૃક્ષો વાવવા પાછળ તેમણે રૂપિયા અઢી લાખનો ખર્ચ કરેલ છે.રૂપિયા 10,51,000(દસ લાખ એકાવન હજાર) નો ચબૂતરાનો દાતા શોધી લાવી એ કામ પણ શરૂ કરાવેલ છે.”સેવા પરમો ધર્મ ” ના સૂત્રને જીવનમાં ઉતારી તેને સાર્થક કરનાર સોમાભાઈ પટેલને અભિનંદન આપવા તેમજ વંદન કરવા તેમનો મોબાઇલ નંબર 9925922326 છે.
વૃક્ષો માટે પણ જરૂરી પાણીની વ્યવસ્થા,ટ્રેક્ટર,ડીઝલ,મજૂર,ખાતર,દવા સહિત જે કંઈ જરૂરી હતું એ તમામની વ્યવસ્થા તેમણે સ્વખર્ચે કરી હતી.ટેટોડા ગૌશાળા માટે તેઓ સંપૂર્ણ સમર્પિત ભાવથી નિરંતર કાર્યરત છે અને નિયમિતપણે ગૌશાળાની મુલાકાત લેતા રહે છે.સાયલા મંદિરમાં દરવર્ષે રૂપિયા ત્રણ લાખનો તેઓ ભોજન સહયોગ આપે છે.દ્રારકાધીશની અગીયાર ધજાજીઓ ચડાવવાનો તેમનો મહા સંકલ્પ છે.જેમાંથી પાંચ ધજાજીઓ ચડાવી દીધેલ છે એક ધજાજી ચડાવવા પાછળ અંદાજે પાંચથી આઠ લાખ જેટલો ખર્ચ થાય છે.દ્રારિકામાં આગામી કારતક માસમાં દિવ્ય ભાગવત કથાનું આયોજન છે.તેમાં પણ તેમના પરિવારનો રૂપિયા પાંચ લાખનો સહયોગ છે.એ વખતે પણ ધજાજી ચડાવવાની વિધિ તેઓ કરવાના છે.
“સંપત દે તો શામળા મનની મોટપ દે” એ ઉકિત મુજબ સોમાભાઈ અને તેમના પરિવારને પરમાત્માએ સંપતિ તો આપી જ છે; સાથેસાથે આ સંપતિ સત્કાર્યોમાં વાપરવા મનની મોટપ પણ આપી છે.સાથે કંઈ જ લઈ જવાનું નથી એ વાત સોમાભાઈ અને તેમનું પરિવાર બરાબર સમજી ચૂક્યું છે.સોમાભાઈનાં સત્કાર્યોમાં તેમનાં ધર્મપત્ની મેનાબેન સહિત સમગ્ર પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર હોય જ છે.સોમાભાઈ પટેલ પણ સમગ્ર પરિવારને સાથે રાખી વિશ્ર્વાસમાં લઈને ચાલે છે.
ખૂબ જ સેવાભાવી,ઉદાર,પરગજુ,ધાર્મિક,જીવદયાપ્રેમી,પર્યાવરણપ્રેમી એવા સોમાભાઈ પટેલને તેમનાં સત્કાર્યો,પૂન્યકાર્યો,ધર્મકાર્યો,પ્રકૃતિકાર્યો માટે આદરપૂર્વક,અદબપૂર્વક વંદન..અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ….
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
મોબાઇલ:9825638643
