
લગ્નજીવનનાં 50 વર્ષ પૂર્ણ થતાં ડીસામાં રાખવામાં આવ્યો શ્રી રામચરિત માનસ પાઠ
ડીસા નગરમાં રહેતા ફરશુભાઈ દેવરામભાઈ ઠક્કર/મજેઠીયા (એફ.ડી.) તેમજ શ્રીમતી નિર્મળાબેન ફરશુભાઈ ઠક્કરે લગ્નજીવનનાં 50 વર્ષ પૂર્ણ કરી 51 મા વર્ષમાં પ્રવેશ કરતાં પાંચ દિવસીય શ્રી રામચરિત માનસનો પાઠ રાખવામાં આવ્યો હતો.લગ્નદિવસ નિમિત્તે હોટલોમાં જઈ પાર્ટી કરવાને બદલે ખોટા ખર્ચાઓથી દૂર રહી જગતપિતા પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરવા તેમના નિવાસસ્થાને રામચરિત માનસ પાઠનું ગાન કરી સૌએ નિજાનંદ પ્રાપ્ત કરી એક નવી રચનાત્મક પ્રણાલી શરૂ કરી હતી.
રામચરિત માનસ પાઠ માટે રિન્કુબેન, સોનલબેન, શારદાબેન, શિલ્પાબેન, જ્યોતિબેન, રેખાબેન,નયનાબેન,ભાવિકાબેન,પરેશાબેન,મોનાબેન,વિજ્યાબેન, વર્ષાબેન,ચારૂબેન, મીનાબેન, ખુશ્બુબેન, ભાવનાબેન સહિત અનેક બહેનોએ હાજરી આપી ખૂબ જ લયબધ્ધ રીતે રામચરિત માનસ પાઠનું ગાન કર્યું હતું.ડીસા નગરમાં નિયમિત રીતે રામનામ જાપ તેમજ રામચરિત માનસ પાઠ થાય તે માટે સીતારામ મંડળના માધ્યમથી ધર્મકાર્ય કરવા સૌ બહેનોએ સંકલ્પ કર્યો હતો.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના ભગવાનભાઈ બંધુએ ખાસ ઉપસ્થિત રહી ફરશુભાઈ તેમજ નિર્મળાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌ બહેનોએ ફૂલહાર પહેરાવી બેઉનું સન્માન કર્યું હતું.શ્રી રામચરિત માનસ પાઠના દિવ્ય, પવિત્ર અને પ્રેરણાદાયી આયોજનથી સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
